એક અદ્ભુત વ્યક્તિત્વ...!
ફોટોગ્રાફ્સમાં દેખાતા સહજ સરલ ઇન્સાનનો પરિચય આપવાની બિલકુલ જરૂર નથી. પ્રામાણિકતાથી કહું છું એમની સાથેની કેટલીક પળોના ફોટાથી મારી કિંમત વધે. બીજાની કિંમત પણ વધારનારા મુઠ્ઠી ઊંચેરા ઇન્સાન એટલે પદ્મશ્રી ડૉ.જગદીશભાઈ ત્રિવેદી..!
ત્રણવાર Ph.D એટલે અખંડ અભ્યાસુ. ગુરુશ્રી. શાહબુદ્દિન રાઠોડ પ્રત્યે અનન્ય અનુરાગી એવા જીવનધર્મી વ્યક્તિ. વિશ્વભરની ખ્યાતિ ધરાવવા છતાં ડાઉન ટુ અર્થ..! એમની સાથેનો વ્યક્તિગત અનુભવ કહું તો હું એમને મળવા ઇચ્છતો હતો. એમણે મને કહેલું :"ભાઈ ! સુરેન્દ્રનગર સુધી શું કામ લાંબા થવું છે ? સમય અને પૈસા ખર્ચાશે. એના કરતાં હું મોડાસા કે તેની આજુબાજુ આવું એટલે મળીએ...!" એ વચન પ્રમાણે ૨૮ મી ડિસેમ્બરે માઁ ઉમિયાધામ ઊંજામાં ભદ્રજન ભરતભાઈ મોદી અને કિરણબેન મોદીના 'જીવનપર્વ' માં મળવાનું થયું. પહેલાં તો આખો ચાર કલાકનો કાર્યક્રમ ભરપૂર માણ્યો. જગદીશભાઈ મન મૂકીને વરસતા રહ્યા, સૌ કોઈ તરબોળ થતાં રહ્યા. ભાષા-ભાવ અને પહાડોમાંથી ઉઠતો હોય એવો અવાજ..! વધારે પડતું લાગે તો ભલે. પણ બેધડક કહું છું, ઓછા લોકો માટે આટલો બધો પ્રેમ ઉભરાઈ આવે છે. એ પોતાના કામને ઇબાદત સમજે છે, એનું જ કદાચ આ કારણ હોવું જોઈએ. જ્યાં પ્રાર્થના જેવો માહોલ સર્જાય ત્યાં ઈશ્વર જરૂર હાજર હોય જ...! એવી અનુભૂતિ વૈયક્તિક રીતે મેં અનુભવી છે. પહેલીવારના મળવા ટાણે સંવેદનાભર્યો સ્પર્શ અને પ્રેમાળ લાગણી મેં અનુભવી. મારા વૈયક્તિક જીવનના દૃષ્ટા ગુરુવર્ય ડૉ. વિનોદભાઈ પુરાણી અને મોડાસાના સેવાધર્મી તબીબ ડૉ. દિનકરભાઈ દવેનો અનન્ય અનુરાગ યાદ આવી ગયો. આ બન્ને મહાપુરુષો સ્વધામ થયા છે. ઘણા વરસે એમનો સ્પર્શ મને જગદીશભાઈના સ્પર્શમાં અનુભવાયો. યોગાનુયોગ દવે સાહેબ પણ મૂળ લીમડી, સુરેન્દ્રનગરના વતની. બ્રહ્મદેવોના આશીર્વાદનો આનંદ..!
એમની સાથે વધારે વાતો ન થઈ શકી. પરંતુ એમ કહું જરૂર પણ ન લાગી. કારણ કે પળવારમાં એમણે ઘણું જાણી લીધું હોય એવા અહેસાસમાં હું આવી પડ્યો હતો. ફરી મળવાનો ઉમળકો મનમાં પાળ્યો છે. મા.જગદીશભાઈ કેવળ કલાકાર નથી, એ કલાધર છે. કલાને ધારણ કરનારા છે. જ્યારે એક કલાધર પોતાની કલાને સમાજકાર્યમાં ધરે છે પછી જે કંઈ સર્જાય એ અવર્ણનીય અને અદ્ભુત જ હોય..! પોતાની કલા સમાજના જરૂરિયાતમંદ માટે ખર્ચાય પછી કલા સાધનાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ફ્રેન્ચ ફિલસૂફી 'જીવન ખાતર કલા' એક મૂલ્ય વિધાન છે. જે કેવળ સૌંદર્યલક્ષી સિદ્ધાંત કે સંસ્થાકીય પ્રતિષ્ઠા અથવા ઔપચારિક સ્વ-સંદર્ભ માટે બનાવેલી કલા કરતાં પણ ઉપર વાસ્તવિક માનવજીવનને સમૃદ્ધ બનાવવાની ભૂમિકાને પ્રાધાન્ય આપે છે. કલાને ફક્ત આંતરિક નિયમો દ્વારા સંચાલિત સ્વાયત્ત વસ્તુ તરીકે નહીં, પણ લોકજીવનના વિચાર અનુભવ અને અનુકંપાને ગોઠવે છે.
ફરીથી કહું શ્રી જગદીશભાઈનું આ નાનકડું વર્ણન મારી જ શોભા વધારનારું છે. મને લાગે છે જગદીશભાઈ માટે હવે પ્રસંશાના શબ્દો કે વર્ણનોની કોઈ જ આવશ્યકતા એમના માટે નથી..! આ ધરતી ઉપર શ્વસી રહેલા એક અદ્ભુત વ્યક્તિત્વના ધણી જગદીશભાઈને ફક્ત માણ્યા કરીએ...! બસ, એજ અભ્યર્થના..! ઈશ્વર એમને 'પ્રેરણાપુરુષ' રૂપે સુંદર સ્વાસ્થ્ય અને દિર્ઘાયુષ્ય આપે..!
આપનો Thoughtbird 🐣
Dr.Brijeshkumar Chandrarav
Modasa, Aravalli
Gujarat.
INDIA
drbrijeshkumar.org
dr.brij59@gmail.com
+91 9428412234

આવી વિશેષ વ્યક્તિ ને તમારી ઓળખ એ અમારા માટે ખુબજ આનંદ ની વાત છે
ReplyDeleteબ્રિજેશ ચંદ્ર રાવ
ખૂબ ખૂબ અભિનંદન
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન